ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામે ધારાસભ્યશ્રી ધરમપુરના ફંડ અને ઉમિયા સોશ્યલ ટ્રસ્ટના સૌજન્ય વડે, ગ્રામ પંચાયત આંબાતલાટ, રેમ્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુર અને બજરંગબલી યુવક મંડળ સંચાલિત ઉમિયા વાંચન કુટિર નો મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. વાંચન કુટિરમાં કલાસ-૧ થી માંડી કલાસ-૩ સુધીની વિવિદ્ય પરીક્ષાના પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ કરાવાયા છે. બેસીને વાંચી શકાય એવી વ્યવસ્થા કરાઈ છે.
જય બજરંગબલી મંદિર ખાતે યોજાયેલા સમારોહમાં ગામના અગ્રણી શ્રી મોહનભાઇ પટેલ, સોશ્યલ ઉમિયા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી અશોકભાઈ પટેલ, ચીફ એકાઉન્ટ ઓફિસર કસ્ટમ શ્રી હિતેશભાઈ પટેલ,નાયબ નિયામક હિસાબ શ્રી એન.ક.પઢેર સહિત મહાનુભાવોના હસ્તે ગામના નિવૃત અધિકારીઓ-કર્મચારીઓ, માજી સરપંચો, માજી તાલુકા સદસ્યોનું શાલ ઓઢાડી બહુમાન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન ગામના અગ્રણી અને સહાયક માહિતી નિયામક ઉમેશ બાવીસા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ વિસ્તારના વિવિધ પરીક્ષા આપવા ઇચ્છતા યુવક-યુવતીઓને વાંચન કુટિરનો લાભ લેવા બજરંગબલી યુવક મંડળ દ્વારા અનુરોધ કરાયો છે. અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માંગતા હોય તો તેઓને ૯૪૨૭૧૨૦૫૨૬ પર સંપર્ક કરવા વિનંતી છે.દાતાઓના સહયોગ વડે વાંચન કુટિર નવનિર્માણ થઈ છે. કાર્યક્રમને સફળ બનાવવા રેમ્બો વોરિયર્સ ગ્રુપના શંકરભાઇ પટેલનો સહયોગ મળ્યો હતો. ગામના અગ્રણીઓ, યુવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.